દિન-વિશેષ

ઈતિહાસમાં આજનો દિવસ

રામકૃષ્ણ પરમહંસ જન્મજયંતી 1836
  • સ્વામી વિવેકાનંદ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામનારા નરેન્દ્રનાં ગુરુ દક્ષિણેશ્વરનાં ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ ભારત દેશના મહાન સંત અને વિચારક હતા. એમણે બધા ધર્મોની એકતા પર વિશેષ જોર આપ્યું હતું.
  • એમને બાળપણથી જ વિશ્વાસ હતો કે ઇશ્વરનો સાક્ષાત્કાર(દર્શન) થઇ શકે છે. આમ, ઇશ્વરની પ્રાપ્તિ માટે એમણે કઠોર સાધના અને ભક્તિમાં જીવન વિતાવ્યું. રામકૃષ્ણ પરમહંસ માનવતાના પુજારી હતા. સાધનાના ફલસ્વરુપે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સંસારના બધા જ ધર્મો સાચા છે અને એમાં કોઇ ભિન્નતા નથી.
  • ધર્મ એ ઇશ્વર સુધી પહોંચવાના અલગ અલગ રસ્તાઓ છે.
  • રામકૃષ્ણ પરમહંસનો જન્મ ફેબ્રુઆરી ૧૮, ૧૮૩૬ના દિને બંગાળ પ્રાંત સ્થિત કામારપુકુર ગામમાં થયો હતો. એમનું બાળપણનું નામ ગદાધર હતું. એમની બાળસહજ સરળતા અને મંત્રમુગ્ધ કરી દેતા સ્મિત જોઇ કોઇપણ વ્યક્તિ સંમોહિત થઇ જતી હતી.
  • શ્રીરામકૃષ્ણજી ઇસ્લામ તેમ જ ખ્રિસ્તી ધર્મ સહ વિવિધ ધર્મનો અભ્યાસ કરી સર્વ માર્ગ એક જ ઈશ્વર તરફ દોરી જાય છે, એમ કહેતા. એમનું સૂત્રો “યત્ર જીવ તત્ર શિવ” અર્થાત જ્યાં જીવન, ત્યાં શંકર ભગવાન તણું અધિષ્ઠાન અને “જીબે દય઼ા નય઼, શિબજ્ઞાને જીબસેબા” (જીવદયા નહીં પણ શિવજ્ઞાને જીવસેવા)– તેમનો આ ઉપદેશ સ્વામી વિવેકાનંદ માટે માર્ગદીપ સાબિત થયો હતો.
  • 'શ્રીમ' નામથી પ્રસિદ્ધ થયેલા મહેન્દ્રનાથ ગુપ્તાજીએ "શ્રીશ્રીરામકૃષ્ણકથામૃત ગ્રંથ"માં પરમહંસજીના આ ધર્મવિચારોને શબ્દબદ્ધ કર્યા. શ્રીરામકૃષ્ણજીના અનુયાયીઓ માટે આ મુખ્ય ધર્મગ્રંથ છે.
  • રામકૃષ્ણ પરમહંસજી એમનું ભૌતિક શરીર ઓગસ્ટ ૧૬, ૧૮૮૬ના દિને છોડીને ૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા.
ડો. જે. જે. ચિનોય જન્મજયંતી 1909
  • ડૉ. જે. જે. ચિનોય (આખું નામ: જમશેદજી જીજીભાઈ ચિનોય) (૧૮ ફેબ્રુઆરી, ૧૯૦૯ – ૧૨ માર્ચ, ૧૯૭૮) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના એક વૈજ્ઞાનિક અને વનસ્પતિશાસ્ત્રી હતા.
  • એમનો જન્મ કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ ખાતે થયો હતો. એમણે વર્ષ ૧૯૨૯માં મુંબઈ યુનિવર્સિટી ખાતેથી વનસ્પતિશાસ્ત્રના વિષયમાં ઉચ્ચ વર્ગમાં તેમ જ પ્રથમ નંબર સાથે સ્નાતક (બી.એસસી.) થયા હતા.
  • એમને મુંબઈ યુનિવર્સિટી તરફથી વધુ અભ્યાસ માટે શિષ્યવૃત્તિઓ તથા ફેલોશીપ એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ઇંગ્લેન્ડની રોયલ ઈમ્પીરીયલ કૉલેજમાં વધુ સંશોધનો કરી અને ડૉક્ટરેટનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કરી ભારત પાછા આવ્યા હતા.
  • દેશમાં પરત આવ્યા બાદ તેઓ ભારતની કેન્દ્રિય કપાસ કમિટીમાં વિજ્ઞાની તરીકે જોડાયા હતા. ૧૯૪૧ના વર્ષમાં તેઓ ભારતીય કૃષિ સંશોધન સંસ્થાનમાં વનસ્પતિશાસ્ત્રી તરીકે જોડાયા હતા.
  • આ સમય દરમ્યાન દેશને સ્વતંત્રતા મળી અને તેઓ દિલ્હી યુનિવર્સિટી ખાતે વનસ્પતિશાસ્ત્રનાં સંશોધક બન્યા.લગભગ ૨૨ વર્ષના દીર્ઘકાળ સુધી આ સંસ્થામાં કામગીરી બજાવ્યા પછી ૧૯૫૯ના વર્ષમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વનસ્પતિશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા હતા.
  • આ પદ પર સેવા આપતાં તેમણે વનસ્પતિશાસ્ત્રને લગતાં ઘણાં સંશોધનો કર્યા અને દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી હતી.ઇંગ્લેન્ડ, હોલેન્ડ, ફ્રાન્સ, જર્મની, સ્વિડન જેવા દેશોમાં જૈવિક સંશોધન ક્ષેત્રની મુલાકતો લઈ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
  • વર્ષ ૧૯૭૪માં તેમને ભારતીય કૃષિ સંશોધન કાઉન્સિલ દ્વારા કૃષિ-સંશોધનક્ષેત્રે બજાવેલ કામગીરી બદલ રફી મહંમદ કીડવાઈ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ડૉ. જમશેદજી ચિનોય પરિશ્રમી અને શિસ્તબધ્ધ વૈજ્ઞાનિક હતા.
  • સાદાઈ અને નમ્રતા જેવા ગુણો ધરાવતા આ વૈજ્ઞાનિક મૃદુ સ્વભાવના અને મીતભાષી હતા. એમણે વનસ્પતિ દેહધર્મવિદ્યાના વિષય પર ઘણાં પુસ્તકો પણ લખ્યા હતાં. એમના કાર્ય અને સ્વભાવને કારણે તેઓ સાથીદારો, સહકાર્યકરો અને વિદ્યાર્થીઓમાં પ્રિય રહ્યા હતા.
  • વનસ્પતિશાસ્ત્રના આ જાણીતા અધ્યાપક અને સંશોધકનું અવસાન ૧૨ માર્ચ ૧૯૭૮ના દિવસે થયું હતું. એમણે અનેક કર્તવ્યનિષ્ઠ શિષ્યોની દેશને ભેટ આપી છે.
  • એમના ખેતીના પાક વિષયક સંશોધનોએ ખેડૂતોને અનેક ગણો પાક લેવામાં સફળતા આપી છે.
  • તેમના સન્માનમાં વનસ્પતિશાસ્ત્રીઓને ડૉ. જે.જે. ચિનોય સુવર્ણ ચંદ્રક એનાયત કરાય છે.
શાળા મિત્ર • https://shalamitra.in